અમદાવાદઃ ‘શક્તિપીઠ યાત્રા’ના ગયા આર્ટિકલમાં આપણે પશ્ચિમ બંગાળની 6 શક્તિપીઠના દર્શન કર્યા. હવે પશ્ચિમ બંગાળની જ વધુ 7 શક્તિપીઠના દર્શન કરીશું. તો આવો સફર શરૂ કરીએ…
13. કિરીટ શક્તિપીઠ
સૌથી પહેલાં જઈશું પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના કિરીટકોણમાં આવેલી ‘કિરીટ શક્તિપીઠ’ના દર્શને. અહીં ભગવતી સતીનો મુગટ પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘વિમલા’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ આ શક્તિપીઠની રક્ષા ‘સાંવર્ત’ ભૈરવના રૂપમાં કરે છે.
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના એક છેડે ‘હાથ’ પડ્યો ‘ને બીજે છેડે ‘આંગળીઓ’ પડી
14. વિભાષ શક્તિપીઠ
હવે જઈએ ચૌદમી શક્તિપીઠ તરફ. પશ્ચિમ બંગાળના મેદિનીપુરના તામલુકમાં ‘વિભાષ શક્તિપીઠ’ આવેલી છે. ભગવતી સતીની ડાબી એડી અહીં પડી હતી અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘કપાલિની’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ ‘શર્વાનંદ’ ભૈરવના રૂપમાં આ શક્તિપીઠની રક્ષા કરે છે.
15. કાંચી શક્તિપીઠ
પંદરમી શક્તિપીઠ એટલે કે પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના બોલાપુર સ્ટેશનથી 4 કિલોમીટર દૂર આવેલી ‘કાંચી શક્તિપીઠ’. આ શક્તિપીઠ કોપઈ નદીના કિનારે આવેલી છે. ભગવતી સતીના અસ્થિ આ જગ્યાએ પડ્યા હતા અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘દેવગર્ભ’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ ‘રુરુ’ ભૈરવના રૂપમાં આ શક્તિપીઠની રક્ષા કરે છે.
આ પણ વાંચોઃ ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્રમાં ક્યાં-ક્યાં સતીના કયા અંગ પડ્યાં અને ‘શક્તિપીઠ’ રચાઈ
16. વક્રેશ્વર શક્તિપીઠ
સોળમી શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના દુબરાજપુરમાં આવેલી છે. તે ‘વક્રેશ્વર શક્તિપીઠ’ તરીકે ઓળખાય છે. ભગવતી સતીનો બે ભ્રમર વચ્ચેનો ભાગ એટલે કે ભ્રૂમધ્ય અહીં પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘મહિષમર્દિની’ તરીકે ઓળખાય છે. ભગવાન શંકર ‘વક્રનાથ’ ભૈરવના રૂપમાં અહીં રક્ષા કરે છે.
17. નલહાટી શક્તિપીઠ
પશ્ચિમ બંગાળના બિરભૂમમાં નલહાટીમાં સત્તરમી શક્તિપીઠ ‘નલહાટી શક્તિપીઠ’ આવેલી છે. અહીં ભગવતી સતીના પગનું હાડકું પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘કલિકા દેવી’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ અહીં ‘યોગેશ’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે.
આ પણ વાંચોઃ શક્તિપીઠ એટલે શું? કેવી રીતે બની શક્તિપીઠ અને તેની તમામ માહિતી
18. અટ્ટહાસ શક્તિપીઠ
‘અટ્ટહાસ શક્તિપીઠ’ અઢારમી શક્તિપીઠ તરીકે જાણીતી છે. તે પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના લાભપુર ગામમાં આવે છે અને અહીં ભગવતી સતીનો નીચલો હોઠ પડ્યો હતો. તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘ફુલ્લરા’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ અહીં ‘વિશ્વેસ’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે.
19. નંદીકેશ્વર શક્તિપીઠ
ઓગણીસમી શક્તિપીઠ ‘નંદીકેશ્વરી શક્તિપીઠ’ તરીકે ઓળખાય છે. આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના સેંથિયામાં આવેલી છે. ભગવતી સતીનો ગળાનો હાર અહીં પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘નંદિની’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ ‘નંદિકેશ્વર’ ભૈરવ તરીકે આ શક્તિપીઠની રક્ષા કરે છે.