નુક્તેચીની | અજય ઉમટ
કોંગ્રેસ પાર્ટીની હાલત લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ જેવી હિમાચલ પ્રદેશમાં થઈ છે. ભાજપ સામે 2024 લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માંડમાંડ પોતાનું ઘર સમુંસૂતરું કરવા જાય છે ત્યાં ભાજપ નિતનવી આપત્તિઓ અને પડકારો સર્જે છે. ગુજરાત સહિત સંખ્યાબંધ રાજ્યોમાં કોંગ્રેસના અગ્રણીઓ મોટા પ્રમાણમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે, તો રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં 68 સભ્યોના ગૃહમાં 40 સભ્યોનું સંખ્યાબળ હોવા છતાં અને ભાજપ પાસે માત્ર 25 ધારાસભ્યો છે. છતાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના છ અને ત્રણ અપક્ષોએ ક્રોસ વોટિંગ કરતાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને એક સરખા 34-34 મતો મળ્યા અને છેલ્લે ચિઠ્ઠી ઉછાળવામાં કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી નસીબના જોરે હારી ગયા અને ભાજપના હર્ષ મહાજન ક્રોસ વોટિંગના કારણે ચૂંટણી જીતી ગયા. આ ઘટનાક્રમને શી રીતે બયાં કરીશું? નસીબ વાંકું ચાલે તો ઊંટ પર બેઠેલા માણસને પણ ક્યારેક કૂતરું ગાલે કરડી જાય એવો ઘાટ અહીં સર્જાયો છે. કોંગ્રેસના મોટેભાગના નેતાઓ રાહુલ ગાંધીની બિહાર અને ઉત્તર પ્રદેશમાં ચાલતી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા, ત્યારે ભાજપે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની ગેમ કરી નાખી. એટલું જ નહીં, હવે હિમાચલ પ્રદેશની સરકાર લઘુમતીમાં હોવાથી રાજ્યપાલ સમક્ષ વિશ્વાસનો મત લેવા અને સરકારને તોડી પાડવાનો કારસો રચાયો છે. અલબત્ત, કોંગ્રેસ પાર્ટીએ પોતાના બે મજબૂત ખેલાડીઓ કર્ણાટકના ડી.કે. શિવકુમાર અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હુડ્ડાને ક્રાઇસિસ મેનેજમેન્ટ માટે હિમાચલ રવાના કર્યા છે. દરમિયાનમાં બિહારમાં ભાજપે કોંગ્રેસના અને તેજસ્વી લાલુ યાદવની પાર્ટીના બે-બે એટલે કે કુલ ચાર ધારાસભ્યોને પોતાના તંબુમાં ભેગા કર્યા છે અને શક્ય છે કે બિહારમાં પણ કંઈ નવાજૂની થઈ શકે છે. ટૂંકમાં, કોંગ્રેસના નેતાઓ કંસાર રાંધવા જાય એ પહેલાં જ ભાજપના નેતાઓ થૂલી કરી નાખે છે.
ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં જણાય છે કે આજથી 10 દિવસ પહેલાં લાગતું હતું કે રાહુલ ગાંધીનું ઇન્ડિયા ગઠબંધન વેરવિખેર થઈ રહ્યું છે. રાહુલ ગાંધી બિહાર પહોંચ્યા (પોતાની પદયાત્રા લઈને), એની પૂર્વસંધ્યાએ જ બિહારમાં કોંગ્રેસ અને તેજસ્વી લાલુ યાદવ સમર્થિત નીતિશ કુમારની સરકારનું પતન થયું અને ગણતરીના કલાકોમાં જ ભાજપ સમર્થિત નીતિશકુમારની સત્તા પટનામાં પ્રસ્થાપિત થઇ. અલબત્ત આ ઘટનાક્રમમાં ઇન્ડિયા ગઠબંધનને જનોઈવઢ ઘા વાગ્યો, કારણ કે ઇન્ડિયા ગઠબંધનના મુખ્ય આર્કિટેક્ટ મનાતા નીતિશકુમારે જ રાહુલ અને તેજસ્વી લાલુ યાદવને રામરામ કરી નાખ્યા. રાહુલ પશ્ચિમ બંગાળમાં રથયાત્રા લઈને પહોંચે ત્યાં તો નાક વાઢીને અપશુકન કરતા હોય તેમ મમતા બેનરજીએ કોંગ્રેસ પાર્ટી સાથે ચૂંટણી ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. અધૂરામાં પૂરું કેજરીવાલે પણ એક તબક્કે કોંગ્રેસ સાથે કે ઇન્ડિયા ગઠબંધન સાથે રહેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પરંતુ ત્યારબાદ એકાએક જ ઉત્તરપ્રદેશમાં રાહુલ ગાંધી અને અખિલેશ મુલાયમસિંહ યાદવ વચ્ચે થયેલા બેઠક સમજૂતીના કરાર કારગત નીવડ્યા. યોગાનુયોગ રાહુલની રથયાત્રા દરમિયાન જ ઉત્તરપ્રદેશમાં પોલીસ ભરતી પરીક્ષાનું પેપર લીક થયું, લાખો વિદ્યાર્થીઓ નાસીપાસ થયા અને રાહુલ ગાંધી, પ્રિયંકા અને અખિલેશ આણિ મંડળીને જાણે બેસવાની ડાળ મળી ગઈ હોય તેમ પરીક્ષા રદ કરવાના આંદોલનમાં જાહેરસભાઓ અને રેલીઓમાં આંદોલનના સૂરમાં સૂર પુરાવ્યો. એક તબક્કે યોગી આદિત્યનાથ નમતું જોખવાના મૂડમાં નહોતા. પરંતુ રખે ને ચૂંટણીટાણે માહોલ બગડે નહીં એ હેતુથી યોગી આદિત્યનાથે પરીક્ષા રદ કરી અને બહેનજી માયાવતી પણ યોગી સરકારને તાડૂકવા તૈયાર થઈ ગયા. માયાવતીએ કહ્યું કે ઉત્તરપ્રદેશ ક્યારે પેપરલીકથી મુક્ત થશે? આ ઘટનાક્રમ ચિંતાજનક છે અને યોગી સરકારે તાત્કાલિક પારોઠનાં પગલાં ભરવાં જોઈએ. ટૂંકમાં, યોગી સરકારની ટીકા કરવામાં માયાવતી જોડાયાં એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું. માયાવતી પાસે ઉત્તરપ્રદેશમાં દલિત, અતિ દલિત, અનુસૂચિત જાતિ અને જનજાતિની એક મજબૂત વોટબેન્ક છે, જે ભાજપથી વિમુખ જાય એ યોગી આદિત્યનાથને પોસાય તેમ નથી. પરંતુ ચૂંટણીટાણે દરેક રાજકીય પક્ષના નેતાઓ વહેતી ગંગામાંથી ડૂબકી મારવાનું મુનાસિબ માને છે, તો માયાવતી અપવાદ શી રીતે હોઈ શકે? માયાવતીએ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે મંત્રણાનો દોર શરૂ કર્યો છે અને શક્ય છે કે તેઓ ભાજપ કે કોંગ્રેસ સાથે બેઠકોની સોદાબાજી કરી શકે. ટૂંકમાં આજની તારીખે કોંગ્રેસને ઉત્તરપ્રદેશ બાદ બિહારમાં પણ રથયાત્રા દરમિયાન મળેલો ઉત્સાહજનક પ્રતિસાદ ફળ્યો છે અને હવે કેજરીવાલ પંજાબને બાદ કરતાં પાંચ રાજ્યોમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરી રહ્યા છે, તો બીજી તરફ મમતા બેનરજી પણ પશ્ચિમ બંગાળમાં સંદેશખલી ખાતે થયેલી ઘટના બાદ રાજકીય દ્રષ્ટિએ એકલા પડી ગયાં છે. કારણ કે, સંદેશખલી પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના મજબૂત ગઢ મનાતા 24 પરગણા જિલ્લાનું એક મહત્વનું મથક છે, જ્યાં તેમના મજબૂત ટેકેદાર શેખ શાહજહાન અને તેમના સમર્થકોએ ગરીબ કિસાનોની જમીન પડાવી લીધી હતી અને નિર્દોષ મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હોવાનું કહેવાય છે. જેના કારણે મામલો ગરમાયો અને ભાજપ ઉપરાંત ડાબેરીઓ અને કોંગ્રેસીઓએ ચૂંટણી ટાણે મમતા દીદીની રેવડી દાણાદાણ કરી નાખી. આ સંદર્ભમાં હવે મમતા દીદી કૂણાં પડ્યાં છે અને કોંગ્રેસ સાથે ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવા સંમત થયાં છે, પરંતુ હજી તડજોડની વાત પાકી થઈ નથી.
હવે આગામી 10-12 દિવસમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે. એ પહેલાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ગઠબંધનના પ્રવર્તમાન સાથી પક્ષોને વિશ્વાસમાં લઈને પાંચ મસમોટી ગેરન્ટીઓનો સંયુક્ત એજન્ડા બહાર પાડે એવી શક્યતાઓ છે. દા.ત. પંજાબ અને હરિયાણામાં કિસાન આંદોલન ચાલી રહ્યું છે ત્યારે કિસાનોને લઘુતમ ટેકાના ભાવો આપવાની જાહેરાત, ઉત્તરપ્રદેશ અને બિહાર ઉપરાંત હિન્દી બેલ્ટના યુવાનો મહદઅંશે લશ્કરમાં જોડાય છે ત્યારે અગ્નિવીર યોજનાને અલવિદા કરી સૈન્યમાં લાંબા ગાળાની ભરતીની જાહેરાત, ગરીબીરેખા નીચે જીવતા લોકો અને બહેનો માટેની લોભામણી જાહેરાતો ઉપરાંત ઓબીસી, અનુસૂચિત જાતિ, જનજાતિ વગેરે માટે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી અને અનામતની ટકાવારીમાં સુધારો કરીને આ વર્ગના લોકોને વધુ લાભ આપવાની જાહેરાતો વગેરે વગેરે મુદ્દે રાહુલ ગાંધી એક નેરેટિવ સેટ કરી રહ્યા છે. સામા પક્ષે ભાજપની તૈયારી 370 બેઠકો લાવવા માટેની છે અને ગઠબંધનને સાથે રાખીએ તો 400ને પાર જવાની ભાજપે મનોકામના વ્યક્ત કરી છે. આજની તારીખે ભાજપનું પલ્લું ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ખાસ્સું મજબૂત દેખાય છે. આ રાજ્યોમાં ભાજપનો સ્ટ્રાઇક રેટ 85થી 100 ટકા સુધી આવી શકે, પરંતુ બિહારની 40 બેઠકો, મહારાષ્ટ્રની 48 બેઠકો અને પશ્ચિમ બંગાળની 42 એમ કુલ 130 બેઠકો પરની લડાઈ અત્યંત રોમાંચક સાબિત થશે. મહારાષ્ટ્રમાં શિવસેના અને શરદ પવારની એનસીપીમાં ભાગલા પડ્યા છે, તો બિહારમાં કાંટાની ટક્કર છે અને પશ્ચિમ બંગાળમાં મમતા દીદીને મુસ્લિમ મતોની હૂંફ છે, તો બીજી તરફ કેરળ, કર્ણાટક, તેલંગાણા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડ્ડુચેરીની કુલ 129 બેઠકોમાં ભાજપે પોતાનો સ્ટ્રાઇક રેટ સુધારવો પડશે. સામા પક્ષે કોંગ્રેસે પણ પોતાના ગઠબંધનને સાબદું રાખવું પડશે. ટૂંકમાં, ખરાખરીનો ખેલ આઠ રાજ્યોમાં લડાશે એમ હવે સ્પષ્ટપણે વર્તાય છે.